3
ઈસુ માણસના સુકાયેલા હાથને સાજો કરે છે
(માથ્થી 12:9-14; લૂક 6: 6-11)
બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો. કેટલાક યહૂદિઓ ઈસુને કઈક ખોટું કરતાં જોવા ઈચ્છતા હતા, જેથી તેઓ તેના પર તહોમત મૂકી શકે. તેથી તે લોકો તેમની નજીકથી ચોકી કરતા હતા. ઈસુ વિશ્રામવારના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ તે તેઓ જોતા હતા. ઈસુએ તે સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, “અહીં ઊભો થા જેથી બધા લોકો તને જોઈ શકે.”
પછી ઈસુએ લોકોને પૂછયું, “વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?” લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ.
ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, “મને તારો હાથ જોવા દે.” તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો. પછી ફરોશીઓ વિદાય થયા અને ઈસુને શી રીતે મારી નાખવો તે વિષે હેરોદીઓ સાથે યોજનાઓ કરી.
ઘણા લોકોનું ઈસુની પાછળ જવું
ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા. યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા.
ઈસુએ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું. ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ. 10 ઈસુએ ઘણા લોકોને સાજાં કર્યા. તેથી બધા જ માંદા લોકો તેનો સ્પર્શ કરવા તેના તરફ ધકેલાતા હતા. 11 કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને બૂમો પાડવા લાગ્યા. “તું દેવનો દીકરો છે!” 12 પરંતુ ઈસુએ તે આત્માઓને કડકાઇથી આજ્ઞા કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ.
ઈસુની તેના બાર પ્રેરિતોની પસંદગી
(માથ્થી 10:1-4; લૂક 6:12-16)
13 પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા. 14 ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી. 15 અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે. 16 ઈસુએ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે.
 
સિમોન (ઈસુએ તેનું નામ પિતર આપ્યું).
17 ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે “ગર્જનાના પુત્રો” નામ આપ્યા);
18 આંદ્રિયા,
ફિલિપ,
બર્થોલ્મી,
માથ્થી,
થોમા,
અલ્ફીનો દીકરો યાકૂબ,
થદી તથા સિમોન કનાની તથા
19 યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.
કેટલાકનો ઈસુમાં શેતાન હોવાનો આક્ષેપ
(માથ્થી 12:22-32; લૂક 11:14-23; 12:10)
20 પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ. 21 ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
22 યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, “તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.”
23 તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, “શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ. 24 જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી. 25 અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી. 26 અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
27 “જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
28 “હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે. 29 પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.”
30 ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.
ઈસુના શિષ્યો એજ તેનો સાચો પરિવાર
(માથ્થી 12:46-50; લૂક 8:19-21)
31 પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો. 32 ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, “તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે”
33 ઈસુએ પૂછયું “મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?” 34 પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, “આ લોકો મારી મા અને ભાઈઓ છે! 35 મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.”