4
બી વાવનાર એક ખેડૂત વિષેની વાર્તા
(માથ્થી 13:1-9; લૂક 8:4-8)
બીજી એક વખત ઈસુએ સરોવરની બાજુમાં ઉપદેશ શરૂ કર્યો. ઘણા બધા લોકો ઈસુની આજુબાજુ ભેગા થયા. તેથી તે હોડીમાં ચઢ્યો અને ત્યાં બેઠો. બધા જ લોકો પાણીની બાાજુમાં સમુદ્રને કાંઠે રહ્યાં. ઈસુએ હોડીમાંથી જ લોકોને ઉપદેશ આપ્યો. ઈસુએ તેઓને શીખવવા માટે ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો. તેણે કહ્યું:
“ધ્યાનથી સાંભળો! એક ખેડૂત તેના બી વાવવા માટે બહાર નીકળ્યો. જ્યારે ખેડૂત વાવતો હતો, કેટલાંક બી રસ્તાની બાજુએ પડ્યા. પક્ષીઓ આવ્યાં અને પેલાં બધા બી ખાઈ ગયાં. કેટલાંક બી ખડકાળ જમીન પર પડ્યાં. જ્યાં પૂરતી માટી ન હતી. ત્યાં બી ઘણા ઝડપથી ઊગ્યાં કારણ કે જમીન બહુ ઊંડી ન હતી. પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા. બીજા કેટલાંક બી કાંટાળા જાળાંમા પડ્યાં. કાંટાના જાળાંએ સારા છોડને ઉગતાં અટકાવ્યા. તેથી તે છોડોએ ફળ ન આપ્યું. કેટલાંક બીજા બી સારી જમાન પર પડ્યાં. સારી જમીનમાં તે બી ઊગવા માંડ્યાં. તે ઊગ્યા અને ફળ આપ્યાં. કેટલાક છોડે ત્રીસગણાં, કેટલાક છોડોએ સાઠગણાં અને કેટલાક છોડોએ સોગણાં ફળ આપ્યાં.”
પછી ઈસુએ કહ્યું, “તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો!”
ઈસુ કહે છે તે શા માટે વાર્તાઓનો ઉપયોગ કરે છે
(માથ્થી 13:10-17; લૂક 8:9-10)
10 જ્યારે ઈસુ એકાંતમાં હતો ત્યારે બાર પ્રેરિતો અને ઈસુના બીજા શિષ્યોએ તેને વાર્તાઓ વિષે પૂછયું.
11 ઈસુએ કહ્યું, “તમે ફક્ત દેવના રાજ્ય વિષેનું સાચું રહસ્ય સમજી શકો. પણ બીજા લોકોનું હું બધી વસ્તુઓ વાર્તાઓનો ઉપયોગ કરી કહું છું. 12 હું આ કરું છું તેથી,
 
‘તેઓ જોશે અને જોયા કરશે પરંતુ કદાપિ જોઈ શકશે નહિ;
તેઓ સાંભળશે અને સાંભળ્યાં કરશે, પણ કદાપિ સમજશે નહિ.
જો તેઓએ જોયું હોય અને સમજ્યા હોય તો, તેઓ પસ્તાવો કરે, ને તેઓને (પાપની) માફી મળે.’ ” યશાયા 6:9-10
બી વાવનારની વાર્તા ઈસુ સમજાવે છે
(માથ્થી 13:18-23; લૂક 8:11-15)
13 પછી ઈસુએ શિષ્યોને કહ્યું, “તમે આ વાર્તા સમજ્યા? જો તમે ના સમજ્યા હોય તો પછી તમે બીજી કઈ વાર્તા સમજી શકશો? 14 ખેડૂત એ એક વ્યક્તિ છે જે લોકોમાં દેવના વચનને વાવે છે. 15 કેટલીક વાર તે વચન રસ્તા પર પડે છે. આ કેટલાક લોકો જેવું છે. તે લોકો દેવનું વચન સાંભળે છે. પરંતુ શેતાન આવે છે અને વચન લઈ જાય છે જે તેઓનામાં વવાયેલું હતું.
16 “બીજા લોકો પથ્થરવાળી જમીનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ વચન સાંભળે છે અને તેનો આનંદથી તરત જ સ્વીકાર કરે છે. 17 પણ આ લોકો વચનને તેમના જીવનમાં ઊંડા ઉતરવા દેતા નથી. તેઓ આ વચનને ફક્ત થોડી વાર માટે રાખે છે. જ્યારે મુશ્કેલી અથવા સતાવણી વચનને કારણે આવે છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.
18 “બીજા કેટલાંક લોકો કાંટાળા જાળામાં વાવેલાં બીજ જેવા છે. આ લોકો વચન સાંભળે છે. 19 પણ પછી તેમના જીવનમાં આવી બાબતો આવે છે. જેવી કે આ જીવનની ચિંતાઓ, ખૂબ પૈસાનો ખોટો મોહ, અને બીજી બધીજ જાતની વસ્તુઓની કામના. આ વસ્તુઓ વચનના વિકાસને અટકાવે છે. તેથી તે વચન તે લોકોના જીવનમાં ફળદાયી થતું નથી.
20 “બીજા લોકો સારી જમાનમાં વાવેલાં બીજ જેવા છે. તેઓ ઉપદેશ સાંભળે છે, સ્વીકારે છે અને ફળ આપે છે. કેટલીક વાર ત્રીસગણાં, કેટલીક વાર સાઠગણાં અને કેટલીક વાર સોગણાં ફળ આપે છે.”
તમારી પાસે જે હોય તેનો ઉપયોગ કરવો જોઈએ
(લૂક 8:16-18)
21 પછી ઈસુએ તેઓને કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારું કોઈ દીવો રાખે છે? શું દીવી પર મૂકવા નહિ? 22 જે બધું સંતાડેલું છે તે સ્પષ્ટ થશે. દરેક ગુપ્ત વસ્તુ પ્રગટ કરવામાં આવશે. 23 તમે લોકો જે મને સાંભળો છો, ધ્યાનથી સાંભળો! 24 તમે જે સાંભળો તે વિષે કાળજીપૂર્વક વિચારો. તમે જે માપથી આપશો તે માપથી દેવ તમને આપશે. પણ દેવ તમને, તમે જેટલું આપશો તેનાથી વધુ આપશે. 25 જે વ્યક્તિ પાસે કાંઇક છે તે વધારે પ્રાપ્ત કરશે. પણ જે કઈ થોડું છે તે પણ ગુમાવશે.”
ઈસુની બીજની વાર્તાનો ઉપયોગ
26 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય એક માણસ જમીનમાં બીજ વાવે છે તેના જેવું છે. 27 બીજ ઊગવાની શરૂઆત કરે છે. તે રાત અને દિવસ ઊગે છે. તે મહત્વનું નથી કે માણસ ઊંઘે છે કે જાગે છે, છતા પણ બીજ તો ઊગે છે; પણ તે શી રીતે ઊગયું તે જાણતો નથી. 28 કોઈ પણ જાતની મદદ વિના ભોંય અનાજ ઉગાડે છે. પ્રથમ છોડ ઊગે છે. પછી કણસલું અને ત્યાર બાદ કણસલામાં બધા દાણા ભરાય છે. 29 જ્યારે દાણા તૈયાર થાય છે, ત્યારે માણસ તેને કાપે છે. આ સમય કાપણીનો છે.”
દેવનું રાજ્ય રાઈના દાણા જેવું છે
(માથ્થી 13:31-32, 34-35; લૂક 13:18-19)
30 પછી ઈસુએ કહ્યું, “દેવનું રાજ્ય શાના જેવું છે એ તમને બતાવવા હું શાનો ઉપયોગ કરી શકું? તે સમજાવવા માટે હું વાર્તાનો ઉપયોગ કરી શકું? 31 દેવનું રાજ્ય એક રાઈના બી જેવું છે જે તમે જમીનમાં વાવો છે. તે સર્વ બી કરતાં નાનામાં નાનું બી છે. 32 પણ જ્યારે તમે આ બી વાવો છો, તે ઊગે છે અને તમારા બાગના બધા જ છોડવાઓમાં સૌથી મોટો છોડ બને છે. તેને ખૂબ મોટી ડાળીઓ હોય છે. ત્યાં આકાશનાં પક્ષીઓ આવી શકે છે અને માળાઓ બનાવી શકે છે અને સૂર્યથી રક્ષણ મેળવી શકે છે.”
33 ઈસુએ તેમને શીખવવા માટે આવી ઘણી વાર્તાઓનો ઉપયોગ કર્યો, જેથી તેઓ દરેક બાબત સમજી શકે. 34 ઈસુ હંમેશા લોકોને શીખવવા માટે વાર્તાઓનો ઉપયોગ કરતો. પણ જ્યારે ઈસુ અને તેના શ્ષ્યો એકલા ભેગા થતા ત્યારે ઈસુ તેઓને દરેક વાતોનો ખુલાસો કરતો.
ઈસુનું તોફાનને અટકાવવું
(માથ્થી 8:23-27; લૂક 8:22-25)
35 તે દિવસે સાંજે ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “ચાલો, આપણે સરોવરને પેલે પાર જઇએ.” 36 ઈસુ અને શિષ્યોએ લોકોને ત્યાં છોડ્યા. ઈસુ જેમાં બેઠો હતો તે જ હોડીમાં તેઓ ગયા. ત્યાં તેની સાથે બીજી હોડીઓ પણ હતી. 37 સરોવરમાં પવનનું મોટું તોફાન થયું. મોજાઓ ઉપરની બાજુઓ પર અને હોડીની અંદર આવવા લાગ્યાં. હોડી લગભગ પાણીથી ભરાઇ ગઈ હતી. 38 ઈસુ હોડીના પાછલા ભાગમા ઓસીકા પર તેનું માથું ટેકવીને ઊંઘતો હતો. શિષ્યો તેની પાસે ગયા અને તેને જગાડીને કહ્યું, “ઉપદેશક, તને અમારી ચિંતા નથી? આપણે ડૂબી જઈશું!”
39 ઈસુ ઊભો થયો અને પવનને અને મોંજાઓને અટકી જવા આજ્ઞા કરી, ઈસુએ કહ્યું, “છાનો રહે, શાંત થા!” પછી પવન અટકી ગયો અને સરોવર શાંત થઈ ગયું.
40 ઈસુએ તેના શિષ્યોને કહ્યું, “તમે શા માટે ડરો છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”
41 શિષ્યો ઘણા ડરી ગયા હતા અને એકબીજાને પૂછતા હતા કે, “આ માણસ કેવા પ્રકારનો છે કે પવન તથા સમુદ્ર પણ તેનું માને છે?”