11
ઈસુ અને યોહાન બાપ્તિસ્ત
(લૂક 7:18-35)
ઈસુ તેના બાર શિષ્યોને સૂચનાઓ આપ્યા પછી ત્યાંથી નીકળ્યો અને ત્યાંથી ગાલીલ નામના નગરમાં ઉપદેશ અને બોધ આપવા ગયો.
યોહાન બાપ્તિસ્ત જેલમાં હતો. ઈસુ જે કંઈ કરતો હતો તે વિષે તેણે સાંભળ્યું એટલે યોહાને તેના શિષ્યોમાંના કેટલાએકને ઈસુ પાસે મોકલ્યાં. યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”
ઈસુએ તેમને કહ્યું કે, “તમે યોહન પાસે પાછા જાવ અને અહીં જે કાંઈ જોયું અને સાંભળ્યું, તે વિષે યોહાનને જાણ કરો. આંધળા ફરી દેખતાં થયા છે; પાંગળા ચાલતા થયા છે; રક્તપિત્તિયા સાજા થઈ ગયા છે; બહેરા સાંભળતા થયા છે; અને મરણ પામેલા જીવનમાં ફરી બેઠા થયા છે. આ સુવાર્તા ગરીબ લોકોને જણાવવામાં આવી છે. જે વ્યક્તિ મારો સ્વીકાર કરવા શક્તિમાન છે તેને ધન્ય છે.”
યોહાનના શિષ્યો પાછા ફરવા તૈયાર થયા, ઈસુએ લોકોને શું જોવા ઈચ્છો છો તે પૂછયું અને કહ્યું, “તમે ઉજજડ પ્રદેશમાં યોહાન પાસે ગયા ત્યારે શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુંને જોવા ગયા હતા? ના! તો તમે ત્યાં શું જોવા ગયા હતાં? શું જેણે ખૂબ સારા વસ્ત્રો પહેર્યા હતા તેવા માનવીને? ના! આવા સુંદર કપડા પહેરે છે તે તો રાજાના રાજમહેલમાં રહે છે. તો પછી તમે શું જોવા ગયા હતાં? શું દેવના પ્રબોધકને જોવા ગયા હતાં? હા, હું તમને કહું છું, યોહાન તો પ્રબોધક કરતાં ઘણો અધિક છે. 10 યોહાન વિષે લખ્યું છે તે આ છે:
 
‘ધ્યાનથી સાંભળો! હું મારા દૂતને તારી આગળ મોકલું છું.
તે તમારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1
 
11 “હું તમને સત્ય કહું છું કે આજદિન સુધીમાં પૃથ્વી પર જન્મયા છે તેમાં યોહાન જેવો કોઈ ઉત્પન્ન થયો નથી, પણ આકાશના રાજ્યમાં સૌથી નાનો છે તે યોહાન કરતાં પણ મોટો છે. 12 યોહાન બાપ્તિસ્તના સમયથી આજદિન સુધી આકાશનું રાજ્ય આઘાત ઝીલતું રહ્યું છે, અને હિંસક સાધનોથી તેને છીનવી લેવાના પ્રયત્નો થયા છે. 13 બધાજ પ્રબોધકોએ અને નિયમશાસ્ત્રે યોહાન આવ્યો ત્યાં સુધી જે કાંઈ બનવાનું છે તે સંદેશ આપ્યો છે. 14 અને જો તમે નિયમશાસ્ત્ર અને પ્રબોધકોએ જે કહ્યું છે તે સ્વીકારતા હો તો પછી તમારે તેનો સ્વીકાર કરવો હોય તો તે અગાઉ જણાવ્યા પ્રમાણે આવનાર એલિયા તે એ જ છે. 15 તમે લોકો મને સાંભળી શકો છો, તો ધ્યાનથી સાંભળો!
16 “આજની પેઢીના વિષે શું કહું? તેઓ કોના જેવા છે? તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે, હા, તેઓ તેવા જ છે.
 
17 ‘અમે તમારા માટે સંગીત વગાડ્યું,
પરંતુ તમે નૃત્ય કયું નહિ;
અમે તમારા માટે દર્દ ભર્યા ગીતો ગાયાં
પરંતુ તમે રડ્યા નહિ.’
 
18 યોહાન બાપ્તિસ્ત બીજાની જેમ ખાતો પીતો નથી આવ્યો તેથી લોકો કહે છે કે, ‘તેની અંદર ભૂત છે.’ 19 માણસનો દીકરો જે આવ્યો છે તે બીજાઓની જેમ ખાય છે. પીએ છે, ‘એના તરફ તો જુઓ! તે કેટલું બધું ખાય છે અને કેટલું બધું પીવે છે, ઉપરાંત કર ઉઘરાવનાર અને પાપીઓનો મિત્ર છે.’ પરંતુ તેનું શાણપણ પોતાના કાર્યોના પરિણામથી ન્યાયી પુરવાર થાય છે.”
અવિશ્વાસીઓને ઈસુની ચેતવણી
(લૂક 10:13-15)
20 ઈસુએ જ્યાં જ્યાં તેનાં મોટા ભાગનાં પરાક્રમી કાર્યો કર્યા હતાં, તે નગરોની ટીકા કરી કારણ કે લોકો પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યા નહિ. અને પાપકર્મો કરવાનું છોડ્યું નહિ. 21 ઈસુએ કહ્યું, “ઓ ખોરાઝીન* તને હાય! હાય! ઓ બેથસૈદા તને હાય! હાય! જો આ પરાક્રમો મેં દુષ્ટ એવા તૂર અને સિદોન ના નગરોમાં કર્યા હોત તો ત્યાંના લોકોએ પસ્તાવો કર્યો હોત અને તેમના પર ટાટ તથા રાખ નાખીને બતાવ્યું હોત કે તેઓ તેમના પાપોને માટે દુ:ખી હતાં. 22 પણ હું તમને કહું છું કે ન્યાયના દિવસે તૂર અને સિદોનને આકાશ જેટલી ઊંચી પદવીએ પહોંચાડાશે.
23 “ઓ કફર-નહૂમ, શું તું એમ માને છે કે તને ઉચ્ચ પદ માટે આકાશમાં લઈ જવામાં આવશે?ના! તને તો હાદેસના ખાડામા નાખવામા આવશે તારામાં જે ચમત્કારો થયા તે જો સદોમમાં થયા હોત તો તે નગર આજ સુધી ટકી રહ્યું હોત. 24 હું કહું કે, ન્યાયના દિવસે સદોમની હાલત તારાં કરતા સારી હશે.”
ઈસુ તેના લોકોને વિસામો આપે છે
(લૂક 10:21-22)
25 પછી ઈસુએ કહ્યું, “ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. તારો આભારી છું કારણ તેં જ્ઞાનીઓથી આ સત્યોને ગુપ્ત રાખીને જે લોકો નાના બાળકો જેવા છે તેમની આગળ પ્રગટ કર્યુ છે. 26 હા, ઓ બાપ, આ તેં એટલા માટે કર્યુ કે તારે એ પ્રમાણે કરવું હતું.
27 “મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.
28 “તમારામાંના જે થાકી ગયા છે અને ભારે બોજ વહન કરી રહ્યા છે તેઓ મારી પાસે આવો. અને હું તમને વિસામો આપીશ. 29 તમે મારો બોજ ઉઠાવો અને મારી પાસેથી શીખો. કારણ હું દીન અને નમ્ર છું તેથી તમારા જીવમાં વિસામો પામશો. 30 મારું જે કાર્ય તમને સ્વીકારવા કહું છું તે સહેલું છે અને તમારા પર જે બોજ મૂકુ છું તે ઊંચકવામાં હલકો છે.”
* 11:21 ખોરાઝીન બેથસૈદા, કફર-નહૂમ ગાલીલ સરોવર પાસેના નગરો જયાં ઈસુ લોકોને બોધ કરતો હતો. 11:21 તૂર અને સિદોન લેબેનોનમાંના નગરો જ્યાં ખૂબ ખરાબ લોકો રહેતા હતા. 11:21 ટાટ તથા રાખ તે દિવસોમાં શોક વ્યક્ત કરવા ટાટના મોટા વસ્ત્રો પહેરતા અને શરીર પર રાખ લગાવતા.